વ્યથા… વેદના… ઉદાસી… દર્દ…

September 13, 2006

હું કંટકોમાં સુમન સમ રહી નથી શકતો
ને પથ્થરોમાં ઝરણ સમ વહી નથી શકતો
મળ્યું છે એવું સુકોમળ હૃદય મને ‘મુકબિલ’!
વ્યથાનું નામ કદી પણ સહી નથી શકતો

આ આસમાન વૃધ્ધ અકાળે બની ગયું
કડવા અનુભવો જ મળ્યા હોવા જોઇએ
તારક સમાન છિદ્ર પુરાવો છે તન ઉપર
દુનિયાના ક્રૂર ઘાવ સહ્યા હોવા જોઇએ

- મુકબિલ કુરેશી

—–

જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે

- જયંત શેઠ

—–

ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?

હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
અજાણ્યે નથી પ્રેમ કીધો મેં ‘ઓજસ’
સમજદારીપૂર્વકની દિવાનગી છે

- ઓજસ પાલનપુરી

—–

મીણનો માણસ પીગળતો જોઉં છું
વેદનાનો છોડ બળતો જોઉં છું
વાંસવન તો ક્યારનું ઊભું જ છે
એનો પડછાયો રઝળતો જોઉં છું

શબ્દની લીલી ઉદાસી ક્યાં જશે?
બારણું ખોલીને નાસી ક્યાં જશે?
મોરના પીંછાં ખરી ઊડી ગયાં
પણ ટહુકાના પ્રવાસી ક્યાં જશે?

- એસ. એસ. રાહી

Entry Filed under: મુક્તકો. .

5 Comments Add your own

  • 1. Ajay Patel  |  September 13, 2006 at 6:38 am

    બધી જ રચનાઓ સરસ છે.

    “જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે” વધુ ગમી.

    આ બધી બાબતો સાચી પણ છે આપણે અનુભવીએ અને સમજીએ પણ છે. પણ, આ જિંદગી માં જો તમે નિરાશાને ત્યજીને પોઝીટીવ વિચારસરણી રાખીને આગળ વધવાનો પ્રય્તન કરશો તો તમને આ બધી “નિરાશાવાદી વિચારો” પાંગળા ના બનાવશે.

    દિલની લાગણી, વ્ય્થા વ્યકત કરતી સુંદર રચનાઓ અમ સમક્ષ પ્રસ્તુત કરવા બદલ જ્યશ્રી નો આભાર.

    Reply
  • 2. સુરેશ જાની  |  September 13, 2006 at 10:49 am

    હે, વ્યથા! હે, વ્યથા! કૂમળા કંઇ કાળજાને કોરતી કાળી વ્યથા!
    ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું સ્મિતથી સભર?
    ક્યાંક ઊની આહ થઇને, નીતરી જાજે તું ના.
    - શેખાદમ આબુવાલા
    હૈ સબસે મધુર વો ગીત, જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ.
    જબ હદસે ગુજર જાતી હૈ ખુશી, આંસુ ભી નીકલતે આતે હૈ.

    Reply
  • 3. Urmi Saagar  |  September 14, 2006 at 7:31 pm

    વ્યથા, વ્યથા, ઓ વ્યથા !
    કરું હું તારી કેટલી કથા?
    તું અમાપ, તું અનંતમયી,
    જાણે તું એક જીવનપ્રથા !

    Reply
  • 4. વિવેક  |  September 17, 2006 at 2:23 pm

    ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
    તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
    મને ઉંબરે એકલો છોડી દઈને,
    હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
    -ભગવતીકુમાર શર્મા

    બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
    કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.
    લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
    જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
    -વિવેક

    Reply
  • 5. Chetan Framewala  |  September 17, 2006 at 3:21 pm

    સુંદર સંકલન -આભાર .

    કચ્છ ભુકંપ વખતે લખાયેલે કવિતા યાદ આવી ગઈ.

    ચાલ ફરી આ ઉપવન ,મહેકાવવાની, વાત કર,
    ચાલ ફરીથી ટટ્ટાર ઊભા થવાની વાત કર,
    અશ્રુઓના ધોધને શું થયું પૂછો નહીં,
    નિ;સહાય આંખ પર બંધ ધરવાની વાત કર.
    જડ થયેલા હૈયાની, જડતા સમાવવા આજ,
    લાગણીથી ફરી ચેતન અવતારવાની વાત કર ..

    જય ગુર્જરી,

    ચેતન ફ્રેમવાલા

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


My Another Blog

Comments Please…..

Blog Stats

Recent Comments

Pradeep Vyas on Tahuko : ટહુકો ( અનુક્રમણિકા ,…
BHAVESH DESAI on તારી આંખનો અફીણી – વેણીભાઈ…
osobo on Welcome
Tapyindinee on Welcome
Hwybrruq on Welcome

Recent Posts

Archives

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.